નીરખી લ્યો નયનામાં સાધુ
nirkhii lyo nayanaamaan aansu
ભવાનીદાસ
Bhavanidas

નીરખી લ્યો નયનામાં સાધુ, બોલે બાવનથી બારો
અખંડ ધરથી ઉપન્યો, એવા દેહમાં દરશાણા રે...
પાંચ તત્ત્વની ભેળા રમે, નિરંજન ખેલે ન્યારો... નીરખી૦
શ્વાસ ઉચ્છવાસે ચડે સરોદા, રોમ રોમ રણકારો
નાભિકમળથી નીરખી જુઓ, તાંત કરે તૂંહીકારો... નીરખી૦
હૃદયકમલમાં ખેલ રચ્યો છે, જોઈ લ્યોને જોનારો
તરવેણીના તીર ઉપર, અણઘડનો ઉતારો... નીરખી૦
અગમ ઘર પર આસન ઉસી કા, એ અખંડિત ઝારો
જોધા પ્રતાપે ભણે ‘ભવાનીદાસ’, ભેળો છે તેને ભાળો
નીરખી લ્યો નયનોમાં સાધુ.



સ્રોત
- પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતીખાતું, ગાંધીનગર
- વર્ષ : 1970