મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે
manne samjavo nahin ke man samajtun hoy chhe

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે
manne samjavo nahin ke man samajtun hoy chhe
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.
છે ને કલકોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!
એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો;
બીજી ક્ષણ તો એ જ સામાં સાજ સજતું હોય છે.
એ જ વરસે વાદળી સમ ઝૂઝતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નિપજતું હોય છે.
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે!



સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ