hindijan - Geet | RekhtaGujarati

[‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ભજનઢાળ]

હિન્દીજન તો તેને કહીએ

જે કર જોડી રહે ઊભા રે

એકબીજાના કાસળના જે

ખૂબ કરે મનસૂબા રે-

આંતરરાષ્ટ્રીય ઉતપાતોમાં (જેને) સૂઝે એક રસ્તો રે

ચેમ્બરલેન હિટ્લર કે સ્ટેલીન સૌનો ખાવો ઘુસ્તો રે. –હિન્દી જન.

શૂરાતન વ્યાપે નહિ જેને, દ્રઢ કિન્નો જેના મનમાં રે,

કોમ પંથ શું તાળી લાગી, સકળ સ્વારથ તેના તનમાં રે. –હિન્દી જન.

સકળ દેશથી સૌ કોઈ આવો, દાસ થશું સહુ કો’ના રે!

હોશકોશ જેના જાય હાકોટે, ધન ધન પૂર્વજ તેના રે. –હિન્દી જન.

મિયાં કહે મને કોમી હક દ્યો, દેશને મારું ગરદન રે

હિન્દુ કહે હું રહ્યો. અહિંસક, આત્મા મારો મર્દ ખરે. –હિન્દી જન.

પરદેશી પાડાઓ વચ્ચે ઝાડ બની ઊખડશું રે

માણસ થૈ સંપી જીવવાનું પાપ કદાપિ કરશું રે. –હિન્દી જન.

ચિર રોગી ને ઝપટ રહિત છે, હામ હોશ કરે ઘોળ્યાં રે

ભણે ખરસૈયો તેનું દર્શન કરતાં કુળ સત્તોતેર બોળ્યાં રે. –હિન્દી જન.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997